Wednesday, 21 September 2011

Short Story - સાવરણી


" દાન-ધરમની સાવરણી લઈ, મોહ-માયાને  ઝાપટજે..!!
  દિલથી  પશ્ચાતાપ   કરીને,  નશ્વર  કાયાને  કેળવજે..!!"

નાના સરખા એક ગામમાં, એક કંજુસ શેઠ રહેતા હતા, તેમને બે કહ્યાગરા દીકરા હતા.

શેઠની જામી ગયેલી, કરિયાણાની દુકાન અને વિશાળ ખેતી, ઉપરાંત, બંને દીકરા માટે બે મોટાં મકાન બનાવ્યાં હોવા છતાં, આ  કંજુસ શેઠ, ઘરમાં બધાને ફરજિયાત સાદાઈ અને કરકસરથી રહેવાની ફરજ પાડતા હતા. શેઠ પોતે પણ સાવ ઓછાં વસ્ત્ર અને વર્ષો જુના ચંપલ સાંધી-સાંધીને ચલાવતા હતા.

અરે..!! કરકસર એટલે સુધીકે, પોતાના ઓરડાની ફર્શ ઘસાઈ ન જાય તે માટે, પોતાના ઓરડામાં, ફક્ત અઠવાડિયે એકવાર ઝાડુ પણ જાતેજ મારતા હતા અને એકજ  સાવરણી વર્ષો સુધી ચલાવતા..!!

શેઠાણી અને શેઠના આ બંને દીકરાઓ, શેઠના આવા કંજુસ સ્વભાવથી કંટાળી ગયા હતા. ગામ લોકો પણ, તેમની પાસે કોઈ દિવસ દાન-ધર્મ કે ઉઘરાણું કરવા જતા નહતા.

જોકે, આખા ગામમાં લોકવાયકા હતીકે, અત્યાર સુધી કંજુસાઈ કરીને ભેગું કરેલું અઢળક ધન, શેઠે પોતાના અંગત ઓરડામાં ક્યાંક દાટી દીધું છે અને તેની ભાળ  દીકરાઓને તો શું, ખૂદ શેઠાણીને પણ જાણ નથી..!!

સમય તેનું કામ કરતો રહ્યો. વૃદ્ધ થતાંજ, એક દિવસ, શેઠ  બિમાર પડ્યા અને અતિશય તાવને કારણે, તેમનું ડાબું અંગ લકવો મારી ગયું. તેઓ સાવ પથારીવશ થઈ ગયા છતાં, તેમનો સ્વભાવ બદલાયો નહીં..!!

શેઠાણી અને દીકરાઓએ, શહેરની હૉસ્પિટલમાંથી મોટા ડૉક્ટરસાહેબને બોલાવવાની વાત કરતાંજ, ખર્ચ કરવાની વાતને લઈને, કંજુસ બાપા બગડ્યા અને તરડાઈ ગયેલા ચહેરે, બધાંને ખૂબ લઢવા માંડ્યા.

શેઠે સાવ મફતના ભાવે, ગામના વૈદ્યની ચૂરણ-ફાકીથી ચલાવવા માંડ્યું. પણ પરિણામ જે આવવું જોઈએ તેજ આવ્યું. હવે શેઠની સ્થિતિ એકદમ નાજુક થઈ ગઈ. શેઠની શારીરિક દશા, હમણાં મરશે? હમણાં ગયા કે જશે? તેવી થઈ ગઈ. 

પણ, આતો મહાકંજુસ શેઠ, પોતાના સ્વભાવ મુજબ, એમ તો જીવ પણ શું કામ આપે?

શેઠને મરવાની ઘડીઓ ગણાઈ રહી છે તે જાણીને, ગામના થોડા આગેવાન અને  ડાહ્યા માણસો, શેઠની ખબર જોવા આવ્યા.

પણ આ શું? મરવાનું પડતું મૂકીને, શેઠની વાચા હણાઈ ગઈ હોવા છતાંય, કંજુસ શેઠ અચાનક, મોંઢામાંથી,`હું..હું..હું..હું..!!` અવાજ કરીને ઈશારાથી, તેમના ઓરડાના દરવાજા તરફ, બધાને કાંઈક બતાવવા લાગ્યા.

શેઠાણી, શેઠના બે દીકરાઓ તથા ગામના આગેવાનોએ  વારાફરતી, શેઠના હોઠ પાસે પોતાના કાન લઈ જઈ, `તેઓ છેલ્લે-છેલ્લે શું કહેવા માંગે છે?`, તે સમજવાનો, બધાએ નિષ્ફળ પ્રયત્ન કરી જોયો.

જોકે, શેઠ બધાને શું કહેવા માંગે છેતે, કોઈનેય સમજાયું નહીં? 

છેવટે ગામના ડાહ્યા આગેવાનોએ શેઠાણીને અને શેઠના દીકરાઓને કહ્યુંકે," દરવાજા તરફ  ઈશારા કરીને કદાચ, શેઠ  તેમણે ભોંયમાં  દાટેલા ધનની જગ્યા બતાવવા માંગે છે. હવે તો નજીકના  શહેરમાંથી, તાત્કાલિક મોટા ડૉક્ટરને બોલાવી પાંચ મિનિટ માટેય શેઠને બોલતા કરવા પડે, નહીંતર ધન ક્યાં દાટ્યું છે તે રહસ્ય પણ, તેમની સાથેજ  જતું રહેશે?"

શેઠાણી અને  દીકરાઓએ, ધનની ભાળ મેળવવાની લાલચમાં, તાબડતોબ શહેરી ડૉક્ટરને બોલાવ્યા.

ડૉક્ટરે આવીને કહ્યું,"  શેઠને તપાસીને, પાંચ મિનિટ માટે, બોલતા કરી આપવાની, મારી ફી પચ્ચીસ હજાર  રૂપિયા થશે..!!"

ડૉક્ટરની આ ફી સાંભળી, કંજુસ શેઠે, ખૂબ ગુસ્સે  થઈને, ગળામાંથી ફરીથી, " હું..હું..હું..હું..!!" અવાજ કર્યો.

જોકે, બધા એમ  સમજ્યાકે, શેઠે પણ, બોલતા થવાનું ઈંન્જેક્શન લેવાની  હા કહી..!!

શેઠાણી અને દીકરાઓએ, ડૉક્ટરને  જેવી સંમતિ આપી, તે સાથેજ, ડૉક્ટરે, પેલા કંજુસ શેઠના  થાપામાં, એક ઈંન્જેક્શન  ખોસી દીધું.

શેઠાણી, શેઠના દીકરાઓ અને ગામના ભેગા થયેલા લોકોએ, પેલા કંજુસ શેઠ છેલ્લીવાર શું કહેવા માંગતા હતા?  તે જાણવા કાન માંડ્યા.

જોકે, ડૉક્ટરના ઈન્જેક્શનથી, ચમત્કાર થયો હોય તેમ, દીકરાઓ સામે જોઈને, ગુસ્સાથી શેઠ બરાડ્યા,

" ગધેડાઓ, દરવાજે, પેલી બકરી ક્યારની, મારી સાવરણી ચાવી ખાય છે, તેને હાંકો તો ખરા, નપાવટો...!!"  આટલું કહીને, શેઠનું રામ નામ સત્ય થઈ ગયું..!! 

ધનના લાલચુ, શેઠાણીએ છાતી અને  દીકરાઓએ કપાળ કુટ્યું.

કોઈક બોલ્યું, " આ..લ્લે..!! તમારા બાપાની સાવરણી પચ્ચીસ હજારમાં પડી?"

ઉપસંહારઃ- કંજુસ ચોરનું ધન આખરે મોર ખાય.

No comments:

Post a Comment